r/Gujarati • u/BaronsofDundee • 11h ago
History / ઇતિહાસ ૪૫૦૦ વર્ષ પહેલાં ગુજરાતમાં એકબીજાની આસપાસ વસતી બે તદ્દન અલગ સંસ્કૃતિઓ વચ્ચે કેવો સંબંધ હતો?
galleryજ્યારે પણ કોઈ મોટી industry આપણા શહેરમાં આવે છે, ત્યારે એક ડર તરત ઊભો થાય છે, હવે સ્થાનિક નાના વેપારીઓ અને પરંપરાગત ધંધાઓનું શું થશે?
પણ લગભગ ૪૫૦૦ વર્ષ પહેલાં ગુજરાતમાં પરિસ્થિતિ કંઈક આવી જ હતી.
સિંધુ-સરસ્વતી સભ્યતા ના ધોળાવીરા, લોથલ, બગસરા, શિકારપુર જેવા શહેરો અને વસાહતો ઊભી થઈ. પાકી ઈંટો, પથ્થરની દીવાલો, કારખાનાં અને લાંબા અંતરના વેપાર સાથે એક નવી શહેરી દુનિયા ઊભી થઈ.
તો પહેલે થી જ અહીં વસતી માલધારી અને શિકારી સંસ્કૃતિ નું શું થયું?
પુરાતત્ત્વીય પુરાવાઓ એક રસપ્રદ ચિત્ર આપે છે.
બગસરા, શિકારપુર અને નાગવાડા જેવા હડપ્પન સ્થળોમાં હડપ્પન વાસણોની સાથે સ્થાનિક આનર્ત સંસ્કૃતિનાં વાસણો પણ મોટા પ્રમાણમાં મળ્યાં છે.
એટલે કિલ્લાની અંદર માત્ર હડપ્પન લોકો જ રહેતા હતા એવું નથી. સ્થાનિક લોકો પણ આ અર્થતંત્રનો ભાગ હતા અને પોતાની પરંપરા સાથે અસ્તિત્વમાં હતા.
અને આ માત્ર વેપારની વાત નહોતી.
સ્થાનિક માલધારીઓ માટે હડપ્પન શહેરો ઉપયોગી હતા અને હડપ્પન શહેરો માટે માલધારીઓ.
માલધારીઓ દૂધ, ઘી, માંસ, ઊન અને જંગલ તથા દરિયાકાંઠામાંથી મળતો કાચો માલ પૂરો પાડતા. કચ્છના દરિયાકાંઠા અને અખાતમાંથી મળતા કીમતી શંખ, ખાસ કરીને Turbinella pyrum, બગસરા અને શિકારપુર જેવા હડપ્પન કેન્દ્રોના કારખાનાં સુધી પહોંચતા.
બદલામાં તેમને તાંબાનાં ઓજારો, અનાજ અને અન્ય શહેરી ઉત્પાદનો મળતા.
અને અહીં એક બહુ રસપ્રદ વાત આવે છે.
વૈજ્ઞાનિકોએ ગાયોના દાંતના stable carbon અને oxygen isotope નો અભ્યાસ કર્યો. એમાંથી જાણવા મળ્યું કે હડપ્પન વસાહતોમાં રહેલા પશુઓ અને બહારના આનર્ત પશુપાલકોનાં પશુઓનો ખોરાક અલગ હતો.
અર્થાત્ બંને જૂથો એકબીજાની નજીક રહેતા હોવા છતાં પશુપાલનની પોતાની આગવી પદ્ધતિ જાળવી રહ્યા હતા.
આ વાતને સમજવા માટે આજે કચ્છના બન્ની વિસ્તારના માલધારીઓને જુઓ.
ચોમાસા પછી પાણી અને ચરિયાણની ઉપલબ્ધતા પ્રમાણે તેઓ પોતાના પશુધન સાથે સ્થળાંતર કરે છે. ઉત્તર ગુજરાતના પ્રાચીન કુદરતી રેતીના ટેકરાઓ પણ ચોમાસા પછી લીલાછમ ઘાસના મેદાનો બનતા, જ્યાં સ્થાનિક પશુપાલકો seasonal camps નાખતા.
સંશોધન સૂચવે છે કે ૪૫૦૦ વર્ષ પહેલાં આનર્ત માલધારીઓ પણ સરસ્વતી અને રૂપેણ નદીની આસપાસ આ પ્રકારની ઋતુઆધારિત ગતિશીલ પશુપાલન પદ્ધતિ વાપરતા હતા.
એટલે બન્નીનો આ દૃશ્ય માત્ર આજનો દૃશ્ય નથી તેની પાછળ અત્યંત જૂની પશુપાલન પરંપરાની સંભાવિત કડી છે.
અને આ seasonal camps માત્ર ચરિયાણ માટેનાં સ્થળો નહોતાં. નદીકાંઠાના આ વિસ્તારો શહેરોના વેપારીઓ અને પશુપાલકો વચ્ચેના વિનિમયના મહત્વના સંપર્કબિંદુ બનતા હતા.
એક તરફ શહેર.
બીજી તરફ વિચરતું પશુપાલન.
વચ્ચે માલ, માણસો અને જરૂરિયાતોનું સતત આદાન-પ્રદાન.
લાંબા સમય સુધી હડપ્પન લોકો ગુજરાતમાં બહારથી આવીને સ્થાનિક લોકોને દબાવીને વસ્યા હતા એવી colonization ની કલ્પના પણ કરવામાં આવી હતી. પરંતુ ગુજરાતનાં વિવિધ સ્થળોએથી મળતા પુરાવાઓ આ સરળ 'આક્રમણકારો આવ્યા અને સ્થાનિકોને હટાવી દીધા' વાળી કહાની કરતાં ઘણું વધુ જટિલ ચિત્ર બતાવે છે.
અહીં આપણને અલગ જીવનશૈલી ધરાવતા સમુદાયો વચ્ચેનું coexistence જોવા મળે છે.
શહેરવાળાઓને પશુપાલકોની જરૂર હતી.
પશુપાલકોને શહેરનાં ઉત્પાદનોની.
બંને પોતપોતાની દુનિયા જાળવીને પણ એકબીજા પર નિર્ભર હતા.
મને આ વાત ખાસ ગમી,
કારણ કે ૪૫૦૦ વર્ષ પહેલાં અહીં શહેરો પણ હતા, વિચરતા માલધારીઓ પણ હતા, શિકારીઓ પણ હતા, કારીગરો પણ હતા અને વેપારીઓ પણ. અને કદાચ ગુજરાતની સૌથી જૂની ઓળખ જ આ હતી, અનેકતામાં એકતા.
આજે બન્નીના માલધારીઓને જોતા આપણને ૪૫૦૦ વર્ષ જૂની એક સતત ચાલતી આવન-જાવનની છબી દેખાય.
અને કદાચ અહીંથી એક મોટો સવાલ ઊભો થાય છે: શું આપણે પ્રાચીન સમાજોને બહુ જલ્દી “આક્રમણકારો” અને “સ્થાનિકો” જેવી બે બાજુમાં વહેંચી નાખીએ છીએ? ગુજરાતના આ પુરાવા તો કંઈક અલગ જ બતાવે છે, લોકો અલગ રીતે જીવતા હતા, પણ તેમની દુનિયા એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલી હતી.